૩૦ સપ્ટેમ્બર પછી સૌથી ઉંચા દરની નોટ માત્ર ૫૦૦ રુપિયાની જ રહેશે
હાલમાં એવો (૧૦૦૦ની નોટ બહાર પાડવાનો) કોઇ જ પ્રસ્તાવ નથી.

નવી દિલ્હી,૨૨ મે ૨૦૨૩,સોમવાર
વહેલા કે મોડા ૨૦૦૦ની નોટ બંધ થશે એવું જન સામાન્યમાં ઘણા સમયથી ચર્ચાતું રહયું હતું. સરકારે ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ૨૦૦૦ની નોટો બેંકમાં જમા કરાવીને એટલી કિંમતની બીજા ચલણની નોટ લઇ લેવાની જાહેરાત કરી ત્યારથી શું ૧૦૦૦ની નોટ આવશે એ જાણવા સૌ ઉત્સૂક હતા. ૩૦ સપ્ટેમ્બર પછી સૌથી ઉંચા દરની નોટ માત્ર ૫૦૦ રુપિયાની જ રહે છે.
આવા સંજોગોમાં સપોર્ટમાં ૧૦૦૦ની નોટ ચોકકસ બહાર પાડવામાં આવશે એવું કેટલાક માનતા હતા. જો કે આ અંગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના ગર્વનર શકિતદાસે મીડિયાને સ્પષ્ટતા કરી હતી કે આ માત્ર અનુમાનવાળા અંદાજમાં કહેવામાં આવી રહયું છે પરંતુ હાલમાં એવો (૧૦૦૦ની નોટ બહાર પાડવાનો) કોઇ જ પ્રસ્તાવ નથી. વર્તમાનમાં આવું કોઇ આયોજન ન હોવાથી ૧૦૦૦ની નોટ બહાર પડવાની ચર્ચા ખોટી છે.
હાલમાં ૨૦૦૦ની નોટને ચલણમાંથી બહાર કરી દેવામાં આવી છે તેને બેંકમાં જમા કરાવવા માટે ૪ મહિના જેટલો સમય આપ્યો છે. ૨૦૦૦ની નોટ પાછી ખેંચવા પર જ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. ૨૦૦૦ની નોટસનો ૩૦ સપ્ટેમ્બર સુધી ચલણ તરીકે ઉપયોગ થઇ શકે છે. કોઇ જ પ્રકારનો હડબળાટ કરવાની પણ જરુર નથી. બેંકોમાં તમામ પ્રકારની વ્યવસ્થા થઇ ગઇ છે. કોઇ પણ પ્રકારની ઓળખ કે કાગળિયા દર્શાવ્યા વીના નોટ બદલી આપવામાં આવશે.